અહિંસા અને સત્ય એવા ઓતપ્રોત છે, જેમા સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજુ, તેમાં ઊલટી કઈ અને કઈ સૂલટી ? છતાં અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી અહિંસા પરમ ધર્મ થઈ. સત્ય પરમેશ્વર થયું. સાધનની ફિકર કર્યા કરશું તો સાધ્યનાં દર્શન કોઈક દિવસ તો કરશું જ. આટલો નિશ્ચય કર્યો એટલે જગ જીત્યા. આપણા માર્ગમાં ગમે તે સંકટો આવે, બાહ્ય ર્દષ્ટિએ જોતાં આપણી ગમે તેટલી હાર થતી જોવામાં આવે, છતાં આપણે વિશ્વાસ ન છોડતાં એક જ મંત્ર જપીએ - સત્ય છે. તે જ છે. તે જ એક પરમેશ્વર.
ટૂંકો પંથ-હિંસાનો પંથ-કાઢી સફળતા મેળવવામાં મને વિશ્વાસ નથી. શુદ્ધ હેતુઓ માટે મને ગમે તેટલી સહાનુભૂતિ અને માન હોય તો પણ ઉત્તમોત્તમ કાર્ય સાધવા માટે પણ હિંસાત્મક રીતના પ્રયોગનો હું કટ્ટર વિરોધી છું. એટલે હિંસાવાદી અને મારી વચ્ચે કશો મેળ બેસે એમ નથી. પણ મારી અહિંસાનો ધર્મ અરાજકવાદીઓ અને હિંસાવાદીઓની સાથે મળવામાં મને અટકાવતો નથી, બલકે ફરજ પાડે છે. પણ એ મળવાનો હેતુ હંમેશાં મને જણાતી તેમની ભૂલમાંથી તેમને મુક્ત કરવાનો જ હોઈ શકે. કારણ કે મેં અનુભવે સિદ્ધ કર્યું છે કે શાશ્વત કલ્યાણ અસત્ય અને હિંસામાંથી કદી નહીં નીપજી શકે. આ મારી માન્યતા એ ભ્રમણા હોય તોપણ કોઈ એમ તો ના નહીં પાડે કે એ મનમોહક ભ્રમણા છે.
– મહાત્મા ગાંધીજી
– સાત સામાજિક પાપ
(૧) સિદ્ધાંત વિહીન રાજનીતિ
(૨) શ્રમ વિહીન સંપાત્તિ
(૩) નીતિ વિહીન વ્યાપાર
(૪) ચારિત્ર વિહીન શિક્ષણ
(૫) વિવેક વિહીન આનંદ
(૬) માનવતા વિહીન વિશ્રામ
(૭) ત્યાગ વિહીન પૂજા
- મહાત્મા ગાંધીજી