એક પત્રવ્યવહાર ગાંધી અને મોતીલાલ નહેરુ વચ્ચેનો છે જેમાં વાઇન પીવાનો વિવાદ હતો. સિમલામાં મોતીલાલ નહેરુએ વાઇન પીવા અંગે કંઇક કહ્યું હતું અને એના પ્રત્યાઘાતમાં ગાંધીએ લખ્યું, "મને ખબર છે કે વ્યક્તિ જો ખાનગીમાં પીતી હોય તો તે જાહેરમાં પણ પીવે. પરંતુ એક જાહેર વ્યક્તિ જાહેરમાં ન પીવે. હું
ખાનગીમાંપીવું અને ચોરીછુપીથી પીવું એ બન્નેમાં ફર્ક ગણું છું."
૧૦ જુલાઈ ૧૯૨૪ના રોજ મુંબઈથી મોતીલાલ નહેરુએ જવાબમાં લખ્યું, "મારી ઉપર ખરેખર શું આરોપ મુકાયો છે અને એ કોણે મુક્યો છે તેની મને ખબર નથી કારણ કે એ મને જણાવાયું નથી પરંતુ આપના પત્ર ઉપરથી આરોપને બે ભાગમાં મૂકી શકાયઃ (૧) કે મેં જાહેરમાં વાઇન પીધો હતો અને (૨) કે જમ્યા પછીના વક્તવ્યમાં મેં એવું કહ્યું હતું કે, ‘પાણીને શુદ્ધ ગણાય છે પરંતુ વાઇનને ત્રણ વખતગાળવામાં આવે છે. એટલે એ પાણી કરતાં વધુ શુદ્ધ છે."
આરોપના સંદર્ભમાં મારો જવાબ ‘હા‘ છે. બીજા આરોપની બાબતે મને ખબર છે કે મેં પાણી અને વાઇનની તુલના કરી ન હતી. જે વક્તવ્ય પ્રગટ થયું છે એ મેં વાંચ્યું નથી પરંતુ મને યાદ છે ત્યાં સુધી ‘ત્રણ વખત ગાળવા‘ (થ્રાઈસડિસ્ટિલ્ડ)નો શબ્દ પ્રયોગ મેં મારા વક્તવ્ય દરમિયાન પીવાઈ રહેલી લીકર બ્રાન્ડી અને ૧૮૩૫ના લેબલના સંદર્ભમાં કર્યો હતો. એ ઉલ્લેખ પર્સીયન કવિતામાં ઉમદા વાઇન માટે વપરાતા શબ્દો ‘દેરિના‘ (જૂનો) અને ‘સેહ અસ્તિહા‘ (થ્રાઈસ ડિસ્ટિલ્ડ) માટે હતો. હું એમ કહેવા માગતો હતો કે યજમાને એક એવી લાલચ ઊભી કરી હતી જે પર્સીયન કવિઓની કલ્પના બહાર હતી. ત્યાં મુસ્લીમો પણ હતા જે માત્ર પાણી પીતા હતા. તેમણે મારા ઉલ્લેખને વધાવ્યો હતો."
"મને એક પર્સીયન શેર યાદ આવે છે જેનો અનુવાદ આવો થાય છેઃ વાઇનના કારણે માણસ બે ઈજ્જત થાય છે એમ કહેવું ગલત છે, સત્ય એ છે કે માણસ વાઇનમાં બેઈજ્જતી લાવે છે.‘ હકીકતમાં ૧૯૨૧ અગાઉના ૪૦ વર્ષ દરમિયાન ૧૧ મહિનાઓમાં મેં ભાગ્યે જ મારું સાંજનું ડ્રીંક્સ ‘મીસ‘ કર્યું હતું. એક મહિનો હું એટલા માટે પીતો ન હતો કે મને તેની લત ન પડી જાય.""ખાનગીમાં પીવું અને ચોરીછુપીથી પીવું એવો તમારો ફર્ક મને માન્ય નથી. મારા નમ્ર મત પ્રમાણે આ ફર્કમાં કોઈ ફર્ક નથી. હવે ભવિષ્યની વાત."
અગાઉ જણાવ્યા પ્રમાણે વિધાનસભામાં ‘શરાબબંધીનો ખરડો રજુ ન થાય ત્યાં સુધી નહીં પીવા અંગે મે નક્કી કર્યું હતું પરંતુ હવે હું એવું કરવાનો નથી. કૉંગ્રેસ વર્તુળમાં આ શુદ્ધતાની જે વાતો છે એની મારા ઉપર અસર થવાની નથી. "ગેરસમજ નહીં કરતા. મારી ઉપર જે બકવાસ આક્ષેપ થયો છે એટલે હું નિયમિત શરાબ પીવા લાગી જઈશ એવું હું કહેવા માગતો નથી. હું કદાચ પીવ, કદાચ ન પણ પીવ. આ મારી બાબત છે. પણ હું પીવા લાગીશ તો મને એના માટે ખાનગી જગ્યાની જરૂર નહીં પડે. દુનિયા મને એ રીતે જોશે જેવો હું છું નહીં કે બીજા લોકો મને કેવો જોવા ઈચ્છે છે. છેલ્લા ચાર વર્ષમાં અને અત્યારે હું જેમાંથી પસાર થઈ રહ્યો છું ત્યારે દુનિયામાં બેવકૂફોને જે વિચારવું હોય તે વિચારે. અને શું બરાબર છે એ નક્કી કરતા મને કોઈ અટકાવી નહીં શકે." મોતીલાલના આ પત્રથી મહાત્મા ગાંધીની શું હાલત થઈ હશે એ કલ્પનાનો વિષય છે.