સત્યનો, અહિંસાનો માર્ગ જેટલો સીધો છે એટલો જ સાંકડો છે, ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા જે દોરી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ સત્ય, અહિંસાની દોરી પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રંતિક્ષણ સાધના કરવાથી જ તેના દર્શન થાય.
પણ સત્યનાં સંપૂર્ણ દર્શન તો આ દેહે અસંભવિત છે. તેની કલ્પના જ માત્ર કરી શકાય. ક્ષણિક દેહ વાટે શાશ્વત ધર્મનો સાક્ષાત્કાર સંભવતો નથી. તેથી છેવટે શ્રદ્ધાનો ઉપયોગ કરવાનો તો રહે જ છે.
તેથી જ અહિંસા જિજ્ઞાસુને જડી. મારા માર્ગમાં જે મુસીબતો આવે તેને હું સહન કરું, કે તેને અંગે જે નાશો કરવા પડે તે કરતો જાઉં ને મારો માર્ગ કાપું ? આ પ્રશ્ન જિજ્ઞાસુ પાસે ખડો થયો. જો નાશ કરતો ચાલે તો તે માર્ગ કાપતો નથી પણ હતો ત્યાં જ રહે છે, એમ તેણે જોયું. જો સંકટો સહન કરે છે તો તે આગળ વધે છે. પહેલે જ નાશે તેણે જોયું કે જે સત્યને તે શોધે છે તે બહાર નથી પણ અંતરમાં છે. એટલે જેમ જેમ નાશ કરતો જાય તેમ તેમ તે પાછળ પડતો જાય, સત્ય વેગળું જાય.
આપણી ઉપર ચોર ઉપદ્રવ કરે છે તેમાંથી બચવા સારુ તેમને દંડ્યા, તે ક્ષણે તે ભાગ્યા તો ખરા, પણ બીજી જગ્યાએ જઈને ધાડ પાડી. પણ બીજી જગ્યા પણ આપણી જ છે, એટલે આપણે તો અંધારી ગલીમાં આથડ્યા. ચોરનો ઉપદ્રવ વધતો ગયો, કેમ કે તેમણે તો
ચોરીને કર્તવ્ય માન્યું છે. આપણે જોયું કે આના કરતાં સારું એ છે કે ચોરનો ઉપદ્રવ સહન
કરો, તેમ કરતાં ચોરને સમજ આવશે. આટલું સહન કરવામાંથી આપણે જોયું કે ચોર કંઈ
આપણાથી જુદા નથી. આપણને તો બધા સગા છે. તેમને દંડવા હોય નહીં. પણ ઉપદ્રવ સહન કર્યે જઈએ તેથી બસ નથી. તેમાંથી તો કાયરતા પેદા થાય. એટલે આપણે બીજો વિશેષ ધર્મ જોયો. ચોર આપણાં ભાઈભાંડુ હોય તો તેમનામાં તે ભાવના પેદા કરવી જોઈએ. એટલે આપણે તેઓને અપનાવવાને સારુ ઉપાયો શોધવા પૂરતી તસ્દી લેવી રહી. આ અહિંસાનો માર્ગ. આમાં ઉત્તરોત્તર દુઃખ વહોરવાની જ વાત આવે છે. અખૂટ ધીરજ શીખવાની વાત આવે છે. અને જો તે હોય તો અંતે ચોર શાહુકાર બને છે, આપણને સત્યનું વધારે સ્પષ્ટ દર્શન થાય છે. આમ કરતાં આપણે જગતને? મિત્ર બનાવતાં શીખીએ છીએ; ઈશ્વરનો, સત્યનો મહિમા વધારે જણાય છે; સંકટ વેઠતાં છતાં શાંતિસુખ વધે છે; આપણામાં સાહસ, હિંમત વધે છે; આપણે શાશ્વત-અશાશ્વતનો ભેદ વધારે સમજીએ છીએ, કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક આવડે છે; અભિમાન ગળે છે. નમ્રતા વધે છે; પરિગ્રહ સહેજે ઓછો થાય છે; ને દેહની અંદર ભરેલો મેલ નિત્ય ઓછો થતો જાય છે.
આ અહિંસા આજે આપણી જે જાડી વસ્તુ જોઈએ છીએ તે જ નથી. કોઈને ન જ મારવું એ તો છે જ. કુવિચારમાત્ર હિંસા છે.? ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે. દ્વેષ હિંસા છે. કોઈનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઈએ તેનો કબજો રાખવો એ પણ હિંસા છે.
પણ આપણે ખાઈએ છીએ તે જગતને જોઈએ છે. જ્યાં ઊભા છીએ ત્યાં સેંકડો સૂક્ષ્મ જીવો
પડ્યા છે તે કોચવાય છે; એ જગ્યા તેમની છે. ત્યારે શું આત્મહત્યા કરીએ ? તોયે આરો નથી.
વિચારમાં દેહનું વળગણમાત્ર છોડીએ તો છેવટે દેહ આપણને છોડશે. આ અમૂર્છિત સ્વરૂપ તે સત્યનારાયણ એ દર્શન અધીરાઈથી ન જ થાય. દેહ આપણો નથી, તે આપણને મળેલું
સંપેતરું છે, એમ સમજી તેનો ઉપયોગ હોય તે કરી આપણો માર્ગ કાપીએ.
મારે લખવું હતું સહેલું, લખાઈ ગયું કઠણ. છતાં જેણે અહિંસાનો જરાયે વિચાર
કર્યો હશે તેને સમજવામાં મુશ્કેલી ન આવવી જોઈએ.
આટલું સહુ જાણી લે : અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. અહિંસા અને સત્ય એવાં ઓતપ્રોત છે, જેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજુ. તેમાં ઊલટી કઈ ને સૂલટી કઈ ? છતાં અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી અહિંસા પરમ ધર્મ થઈ. સત્ય પરમેશ્વર થયું. સાધનની ફિકર કર્યા કરશું તો સાધ્યનાં દર્શન કોઈક દિવસ તો કરશું જ. આટલો નિશ્ચય કર્યો એટલે જગ જીત્યા. આપણા માર્ગમાં ગમે તે સંકટો આવે, બાહ્ય ર્દષ્ટિએ જોતાં આપણી ગમે તેટલી હાર થતી જોવામાં આવે, છતાં આપણે વિશ્વાસ ન છોડતાં એક જ મંત્ર જમીએ – સત્ય છે. તે જ છે.
તે જ એક પરમેશ્વર. તેનો સાક્ષાત્કાર કરવાનો એક જ માર્ગ, એક જ સાધન તે અહિંસા; તેને
કદી નહીં છોડું. જે સત્યરૂપ પરમેશ્વરને નામે આ પ્રતિજ્ઞા કરી છે તેનું પાલન કરવાનું તે બળ આપો.
'મંગળ પ્રભાત'માંથી સાભાર-